ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર ‘દિગ્ગજ’ શ્રી પીયૂષભાઈ દેસાઈની ચિર વિદાય

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ છ દાયકાથી વધુ સમયથી ચાના વ્યવસાય સાથે સંકળાયેલા ભારતીય ચા ઉદ્યોગના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તથા ‘વાઘ બકરી’ ટી ગ્રુપના ચેરમેન શ્રી પીયૂષભાઈ દેસાઈનું 15 સપ્ટેમ્બર 2026ના રોજ નિધન થયું છે. પીયૂષભાઈ ચાની અદભૂત પરખ, બહોળા અનુભવ અને સિદ્ધાંતો આધારિત વ્યવસાયિક દૃષ્ટિ માટે જાણીતા હતા.

એક કુશળ ટી ટેસ્ટર અને ઉદ્યોગના અનુભવી આગેવાન તરીકે તેમણે ‘વાઘ બકરી’ ટી ગ્રુપને ગુજરાત રાજ્યની બહાર લઈ જઈ દેશનાં વિવિધ પ્રદેશોમાં  તેની મજબૂત ઓળખ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના માટે વ્યવસાય માત્ર વિસ્તરણ કે સફળતા પૂરતો સીમિત નહોતો. ગુણવત્તા, પ્રામાણિકતા, લાંબા ગાળાના સંબંધો અને સૌને સાથે લઈને આગળ વધવું તેમની કાર્યશૈલીના પાયામાં હતું.

શ્રી પીયૂષભાઈ દેસાઈ માનતા હતા કે વ્યવસાયની સમાજ અને તેના તમામ હિતધારકો પ્રત્યે જવાબદારી હોય છે. તેમની દૃષ્ટિ માત્ર વ્યવસાયના વિકાસ પૂરતી સીમિત નહોતી, પરંતુ સમગ્ર ચા ઉદ્યોગના સર્વાંગી વિકાસમાં હતી—જ્યાં ચાના ઉત્પાદકો, ખેડૂતો, કામદારો, વેપારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકો સૌ સાથે મળીને પ્રગતિ કરે અને તેનો લાભ મેળવી શકે.

ચા ઉદ્યોગને સંગઠિત અને મજબૂત બનાવવામાં પણ શ્રી પીયૂષભાઈ દેસાઈનું નોંધપાત્ર યોગદાન રહ્યું. તેઓ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA), વેસ્ટર્ન ઇન્ડિયા ટી ડીલર્સ એસોસિએશન (WITDA) અને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન્સ (FAITTA)ના સ્થાપક સભ્યોમાંના એક હતા. GTTAના પ્રથમ પ્રમુખ તરીકે તેમણે ચાના વેપારીઓને એક મંચ પર લાવવા અને ચા ઉદ્યોગના હિતોને આગળ વધારવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી.

ચાની તેમની ઊંડી સમજ અને ભારતીય ચા ઉદ્યોગમાં દાયકાઓ સુધી આપેલા યોગદાનને માન આપતાં આ જ વર્ષે નોર્થ ઈસ્ટર્ન ટી એસોસિએશન (NETA) દ્વારા શ્રી પીયૂષભાઈ દેસાઈને ’લાઇફટાઇમ અચીવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વ્યવસાયની સાથે સમાજસેવા પણ શ્રી પીયૂષભાઈના જીવનનો મહત્વનો હિસ્સો રહ્યો. ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત શ્રી પીયૂષભાઈ ગુજરાત વિદ્યાપીઠ સાથે નજીકથી જોડાયા હતા અને તેની વિવિધ પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું હતું. તે સમય દરમિયાન મહાત્મા ગાંધીના અંગત સચિવ શ્રી મહાદેવભાઈ દેસાઈના પુત્ર, શ્રી નારણભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા.

શ્રી પીયૂષભાઈએ લગભગ બે વર્ષ સુધી બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (ઇન્ડિયા) ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેઓ સદવિચાર પરિવારના ટ્રસ્ટી પણ રહ્યા હતા અને સંસ્થાની વિવિધ સામાજિક પહેલો અને પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાતા હતા. આ સંસ્થાઓ સાથેનો તેમનો સંબંધ તેમના જીવનમૂલ્યોનું પ્રતિબિંબ હતો.

શિક્ષણ, સમાજકલ્યાણ, સેવા અને સામાજિક જવાબદારી તેમના માટે માત્ર વિચારો નહોતા, પરંતુ જીવનભર નિભાવેલી પ્રતિબદ્ધતા હતી. તેમણે જે સંસ્થાઓને મજબૂત કરવામાં મદદ કરી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોના જીવનને જે રીતે સ્પર્શ્યું, તેમાં તેમની આ વિચારધારા સ્પષ્ટ દેખાતી હતી.

શ્રી પીયૂષભાઈ દેસાઈ અનેક દાયકાઓ સુધી વાઘ બકરી ચાના વ્યવસાયમાં સક્રિય રહ્યા અને 2020 સુધી ગ્રુપના કામકાજ સાથે સંકળાયેલા હતા. તેમણે માર્ગદર્શકની ભૂમિકા ભજવી અને પોતાના વર્ષોના અનુભવ સાથે વ્યવસાયને લઈને તેમની વિચારધારા અને મૂલ્યો નવી પેઢીને સોંપ્યા. તેમણે ઊભા કરેલા મજબૂત પાયા પર આગળ વધતાં ‘વાઘ બકરી’ ટી ગ્રુપે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આજે વાઘ બકરી’ ટી ગ્રુપ માત્ર ભારતમાં ઘર-ઘરમાં જાણીતું નામ નથી, પરંતુ વિશ્વના 66 થી વધુ દેશોમાં પણ ચાપ્રેમીઓ સુધી પહોંચી છે.

ચા જગત તેમને એક અદભૂત પારખુ, દૂરંદેશી ઉદ્યોગપતિ અને સંસ્થાઓને ઘડનાર વ્યક્તિ તરીકે યાદ રાખશે. તેમનું નિધન એક યુગના અંત સમાન છે. પરંતુ તેમણે જે વ્યવસાયને આકાર આપ્યો, જે સંસ્થાઓને મજબૂત કરી અને ગુણવત્તા, પ્રામાણિકતા તથા સૌને સાથે લઈને આગળ વધવાના જે મૂલ્યોને જીવનભર જાળવ્યા, તેમાં શ્રી પીયૂષભાઈ દેસાઈની છાપ હંમેશાં જીવંત રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)