EDIIએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરી, 4 પરંપરાગત હસ્તકલાઓને GI પ્રમાણપત્ર એનાયત કરાયા
અમદાવાદ, 10 ઑગસ્ટ: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીના અવસરે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો, બૌદ્ધિક સંપદા (IP) ક્ષેત્રના નિષ્ણાતો, નાણાકીય સંસ્થાઓ, શિક્ષણજગતના પ્રતિનિધિઓ તથા કારીગરોને એક મંચ પર એકત્રિત કરી ગુજરાતના હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનાવવા માટેની વ્યૂહરચનાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન જસદાન પટારી ક્રાફ્ટ, પાટણ મશરૂ સાડીઓ એન્ડ ફેબ્રિક્સ, બનાસકાંઠા એપ્લિક વર્ક અને સૌરાષ્ટ્ર મોતી ભરતકામ (બીડ વર્ક)—આ ચાર પરંપરાગત હસ્તકલાઓને ભૌગોલિક સંકેત (GI) પ્રમાણપત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવી. આ સાથે GI વ્યવસ્થા હેઠળ આ પ્રદેશની અનન્ય કારીગરી અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઔપચારિક માન્યતા પણ પ્રાપ્ત થઈ.
કાર્યક્રમની શરૂઆત સ્વદેશી હસ્તકલાઓના પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે થઈ, ત્યારબાદ પરંપરાગત દીપ પ્રાગટ્ય સમારોહ યોજાયો. ઉદ્ઘાટન સત્રમાં શ્રી કાર્તિકેય સારાભાઈ, સ્થાપક નિયામક, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (સીઈઈ); શ્રીમતી નિધિ શર્મા, જનરલ મેનેજર, રૂરલ એમએસએમઈ ડિપાર્ટમેન્ટ (RMSMED), નાબાર્ડ; શ્રી વિનોદ અગ્રવાલ, સંયોજક, સીઆઈઆઈ ગુજરાત ટાસ્કફોર્સ તથા ડૉ. સુનીલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) એ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

EDIIના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ જણાવ્યું, “આપણા સમૃદ્ધ પરંપરાગત જ્ઞાન અને વારસાના સંરક્ષણની યાત્રામાં ભૌગોલિક સંકેત (GI) ટેગિંગ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ પણ વિચારનો વાસ્તવિક પ્રભાવ ત્યારે જ સર્જાય છે, જ્યારે તે ઇનોવેશનમાં પરિવર્તિત થાય અને ઇનોવેશન આગળ વધીને વ્યાવસાયિકીકરણ સુધી પહોંચે, જેથી તે આર્થિક અને સામાજિક કલ્યાણમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે. ભૌગોલિક સંકેત (GI) ઉત્પાદનોના સંરક્ષણ માટેનું એક અસરકારક સાધન છે. ચાર પરંપરાગત હસ્તકલાઓને GI ટેગિંગ પ્રમાણપત્ર મળવું અમારા માટે ગૌરવની ક્ષણ છે; તે કારીગર-આધારિત વિકાસની સફળતા અને તેની વિશ્વસનીયતાને માન્યતા આપે છે.”
આ પ્રસંગે કાર્તિકેય સારાભાઈએ જણાવ્યું હતું, “ભારત અનેક ક્ષેત્રોમાં વર્ષોના અનુભવ અને પરંપરાગત પ્રયોગોથી સમૃદ્ધ બનેલા જ્ઞાનના અમૂલ્ય ભંડારનું ઘર છે. આ જ્ઞાન સાથે જોડાયેલા વિચારો અને પ્રક્રિયાઓનું યોગ્ય સમયે સંવર્ધન અને સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે. ભૌગોલિક સંકેત (GI) ટેગિંગની સુવિધા આપણા ઉત્પાદકો અને કારીગરોના સામાજિક તથા આર્થિક કલ્યાણને પ્રોત્સાહન આપવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.”

પોતાના સંબોધનમાં શ્રીમતી નિધિ શર્માએ જણાવ્યું હતું, “નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના સહયોગથી EDII ખાતે રાજ્યના પ્રથમ પ્રાદેશિક ભૌગોલિક સંકેત (GI) સુવિધા કેન્દ્રની સ્થાપના કારીગરો અને ગ્રામિણ ઉદ્યોગસાહસિકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. આ કેન્દ્ર તેમના પરંપરાગત ઉત્પાદનોને તે યોગ્ય ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેના તેઓ સાચા હકદાર છે. જો આપણે આ ઉત્પાદનોનું અસરકારક સંરક્ષણ સુનિશ્ચિત કરી તેમને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય ઓળખ અપાવી શકીએ, તો નવા બજારોના દ્વાર ખોલી શકીશું અને કારીગરો, વણકરો તેમજ ઉદ્યોગસાહસિકોને તેમના ઉત્પાદનો માટે વધુ સારું અને પ્રીમિયમ મૂલ્ય પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થઈ શકીશું.”

ટેક્નોલોજી અને બૌદ્ધિક સંપદા (2026-27) વિષય પર સંબોધતા શ્રી વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું, “EDII ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ઇનોવેશન તેમજ ક્રાંતિકારી ટેક્નોલોજીના સંરક્ષણ માટે બૌદ્ધિક સંપદા (આઈપી) અંગે જાગૃતિ ફેલાવવા માટે સતત કાર્ય કરી રહ્યું છે. EDII કારીગરો સાથે પણ સતત નજીકથી કાર્ય કરી રહ્યું છે. સંસ્થા તેમને નિયમિત માર્ગદર્શન આપી રહી છે, તેમના કૌશલ્યોને વધુ સશક્ત બનાવી રહી છે અને ટેક્નોલોજી તથા ઉદ્યોગસાહસિક ક્ષમતાઓનો ઉપયોગ કરીને પોતાની પરંપરાગત વારસાનું સંરક્ષણ કરવાના મહત્વને સમજવામાં તેમની મદદ કરી રહી છે. ભૌગોલિક સંકેત (GI) તેમના કાર્યને બજારમાં તેની યોગ્ય ઓળખ અને સન્માન અપાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
કાર્યક્રમ અંતર્ગત પોસ્ટ-GI ઇન્ટરવેન્શન્સ વિષય પર એક કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા ગુજરાત રાજ્યમાં પોસ્ટ-GI ઇન્ટરવેન્શન્સ અંગે એક પરામર્શ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમે પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ, દેશજ ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનાવવા તેમજ દેશભરના કારીગર સમુદાયો માટે ટકાઉ આજીવિકાની તકો સર્જવાના અસરકારક સાધન તરીકે ભૌગોલિક સંકેત (GI)ને પ્રોત્સાહન આપવાની EDIIની પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરી.
ડૉ. સત્યા રંજન આચાર્ય, પ્રોફેસર અને ડિરેક્ટ, ડિપાર્ટમેન્ટ ઑફ એન્ટરપ્રેન્યોરશિપ એજ્યુકેશન, EDII, એ તમામ ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરતાં આભારવિધિ રજૂ કરી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
