ગૌતમ અદાણીએ ગ્રામ્યસ્તરે વસતા સંશોધકો અને ઉદ્યોગ સાહિસકો શોધવા ઝૂંબેશ વંદે ભારતમ આરંભી

અમદાવાદ, 28 જૂન: ભારતભરના સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને તેઓની સમસ્યાઓ ઉકેલતી પ્રતિભાઓને શોધીને અને તેમને પીઠબળ આપવા માટે ’વંદે ભારતમ’નામે એક રાષ્ટ્રીય પહેલનો અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ૨૪ જૂને પોતાના ૬૪મા જન્મદિનના અવસરે આરંભ કર્યો છે.
ભારતના પરંપરાગત સ્ટાર્ટ-અપ કેન્દ્રોની બહારના આશાસ્પદ વિચારશીલો અને ઉદ્યોગ સાહસિક પ્રતિભાઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી તરતો મૂકાયેલો આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ તમામ વયજૂથના અને પૃષ્ઠભૂમિ ધરાવતા ભારતના બધા ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૦૦થી વધુ જિલ્લાઓ અને અનેક ભારતીય ભાષાઓ સુધી પહોંચશે.
વિશ્વના અગ્રણી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં ભારત આજે નોંધપાત્ર સ્થાન ધરાવતું હોવા છતાં ૮૦ ટકાથી વધુ સ્ટાર્ટ-અપના પ્રણેતાઓ કેવળ પાંચ શહેરોમાંથી ઉભરી રહ્યા છે ઘણા મહત્વાકાંક્ષી સંશોધકો પ્રત્યક્ષ હાજરી અને માર્ગદર્શનના અભાવના કારણે નેટવર્ક્સની પહોંચથી વંચિત રહે છે.
વંદે ભારતમના માધ્યમ થકી મેટ્રોપોલિટન કેન્દ્રો અને ઉભરતા શહેરોથી લઈને નાના શહેરો અને ગ્રામીણ સમુદાયો સુધી આ પહોંચને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલ મારફત એવા વ્યક્તિઓને શોધશે જેમના વિચારો, ઉકેલો અને સાહસો આર્થિક અને સામાજિક અસર ઉભી કરવા સક્ષમ છે.
રાજ્ય અને પ્રાદેશિક મૂલ્યાંકન પછી પસંદ થનારા ૭૫ લાભાર્થીઓને અમદાવાદમાં માર્ગદર્શન, ઔદ્યોગિક વાર્તાલાપ અને રોકાણકારો તથા વ્યવસાયિક અગ્રણીઓ સાથે જોડાણ સહિતના એક સઘન કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવશે. તેઓ ભેગા મળીને વિવિધ પ્રદેશો, ક્ષેત્રો અને સમુદાયોમાંથી પ્રતિભાના ક્રોસ-સેક્શનનું પ્રતિનિધિત્વ કરશે.
આ પહેલ તરતી મૂકતા શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે મેં જ્યારે મારી સફર શરૂ કરી, ત્યારે મારી પાસે કંઈ નહોતું. હું જે કંઈ છું અને મેં જે કંઈ મેળ્વયું છે તે ભારતની માટીએ મને આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશમાં પ્રતિભાવંત અભિનવ વિચારશીલ વ્યક્તિઓની કમી નથી, પરંતુ તક આ વિશાળ દેશના દરેક ખૂણા સુધી પહોંચી નથી.
અદાણીએ વધુમાં કહ્યું કે ભારતે વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાંથી નિર્માણ કરી હોવા છતાં મોટાભાગના પ્રણેતાઓ આજે પણ ગણ્યા ગાંઠ્યા શહેરોમાંથી ઉભરે છે. નવા વિચારોને માન્યતા અને આધારને પાત્ર લોકો માટે એક દેશવ્યાપી પ્લેટફોર્મ ઉપલબ્ધ બનાવવા વંદે ભારતમનો પ્રયાસ રહેશે. તેમણે આ પહેલ થકી નવા અભિગમો, સમસ્યા ઉકેલનારાઓ અને ઉદ્યોગસાહસિકોને શોધીને અમે તમામ ભારતીયને નિર્માણ કરવાનું મનોબળ અને નિર્ણય શક્તિ સાથે આગળ આવી અને શામેલ થવા આમંત્રણ આપ્યું છે.
તેમણે માહિતી આપતા કહ્યું કે આ ઝૂંબેશ હેઠળ વિચારોને સાહસોમાં પરિવર્તિત કરવામાં મદદ કરી શકે તે માટે પસંદ થનારને માર્ગદર્શકો, રોકાણકારો, ઉદ્યોગ અગ્રણીઓ, ઇન્ક્યુબેશન સપોર્ટ અને વ્યૂહાત્મક ભાગીદારીનો લાભ મળશે. આ કાર્યક્રમમાં રોકડ ઇનામ અને શ્રેણી-આધારિત માન્યતાઓનો પણ સમાવેશ થશે, જેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.
દેશના સ્વતંત્રતા દિવસની આસપાસના દિવસોમાં આયોજીત થનારા ગ્રાન્ડ ફિનાલે દરમિયાન માર્ગદર્શકો, રોકાણકારો, ઉદ્યોગ નેતાઓ અને સાથી નવીનતાઓ સાથે સહભાગીઓને જોડતા પ્લેટફોર્મનો આરંભ થશે.
“જો હું તે કરી શકું, તો કોઈપણ ભારતીય તે કરી શકે છે. તેમને ફક્ત એક તક અને એક મંચની જરૂર છે,એમ શ્રી અદાણીએ ઉમેર્યું હતું.
દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ, ૮00 થી વધુ જિલ્લાઓ અને વૈશ્વિક ભારતીય નાગરિકો સુધી વિસ્તરવાની નેમ સાથે વંદે ભારતમ ઉદ્યોગસાહસિક શોધ અને નવીનતા માટે ભારતના સૌથી વ્યાપક પ્લેટફોર્મમાંથી એક બનવાનું લક્ષ્ય રાખે છે.
ભારત ૨૦૪૭ સુધીમાં વિકાસની મંજીલ તરફ આગળ વધી રહ્યું છે, તે સંદર્ભમાં ઉદ્યોગસાહસિકતા અને નવીનતામાં ભાગીદારીને વિસ્તારી આર્થિક વિકાસને વેગ આપી, રોજગારીની તકો ઉભી કરવા અને સ્થાનિક પડકારોને ઉકેલવા માટે આ પહેલ મહત્વની બની રહેશે.
કોઈ અભિનવ વિચાર, ઉકેલવાની દીર્ઘ દ્રષ્ટી કે ઉદ્યોગસાહસિક બનવાની તીવ્ર મહત્વાકાંક્ષા ધરાવનાર ઉંમર, વ્યવસાય, શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અથવા વિકાસના તબક્કાને ધ્યાનમાં લીધા વગર સહુ કોઇ ભારતીય વ્યક્તિ માટે આ પહેલના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ પહેલમાં સહભાગી થવા તેઓના ખ્યાલ, પ્રોટોટાઇપ, પ્રારંભિક તબક્કાના સાહસ અથવા સ્થાપિત વ્યવસાય સાથે અરજી કરી શકે છે. આ માટે રજિસ્ટર્ડ સ્ટાર્ટ-અપ હોવું જરૂરી નથી.
ટેકનોલોજી, ઉત્પાદન, ટકાઉપણું, કૃષિ, પરંપરાગત હસ્તકલા અને સમુદાય-આધારિત ઉકેલો સહિત વિવિધ ક્ષેત્રોમાંથી એન્ટ્રીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત સમર્પિત મહિલા ઉદ્યોગસાહસિકો, આદિવાસી ઉદ્યોગસાહસિકો, ગ્રામીણ સંશોધકો, દિવ્યાંગ ઉદ્યોગસાહસિકો અને સ્થાનિક પડકારોને જીલતા સમુદાય-આધારિત સંશોધકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સંબંધી અરજીઓ vandebharatam.org.પર ઉપ્લબ્ધ કરવામાં આવી છે.
પ્રાપ્ત થયેલ અરજીઓ નવીનતા, ઉદ્યોગસાહસિકની સંભાવના, તેની સંભવિત અસર અને માપનીયતા કેન્દ્રિત માળખાગત મૂલ્યાંકન માટેની પ્રક્રિયામાંથી પસાર થશે. મૂલ્યાંકન માપદંડ, જ્યુરીની રચના અને પસંદગીના તબક્કાઓ સંબંધિ વધુ વિગતો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
