અમદાવાદ, 21 ડિસેમ્બરઃ આરબીઆઈએ ગઈકાલે બેન્કો અને NBFCના AIF દ્વારા લોન એવરગ્રીનિંગ પર આકરી કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે NBFC અને બેન્કોને AIFમાં રોકાણ મામલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેની પ્રતિકૂળ અસર ઘણી બેન્કો અને NBFCને થવાની શક્યતા છે.

આ કાર્યવાહીનો સામનો પિરામલ, એડલવાઈઝ, આઈઆઈએફએલ સહિતની NBFCએ કરવો પડશે. આરબીઆઈ દ્વારા નિયમન કરાયેલી સંસ્થાઓના AIFsમાં કુલ રોકાણ રૂ. 15,000 કરોડ હોવાનો અંદાજ છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાધનોમાં કેટલાક અગ્રણી ખેલાડીઓ પિરામલ એન્ટરપ્રાઈઝ, એડલવાઈસ અને ઈન્ડિયાબુલ્સ છે. હાલમાં ‘શંકાસ્પદ રોકાણો’ ધરાવતા AIFની સંખ્યાની ચોક્કસ વિગતો અને આ રોકાણોના કારણે NBFCs પરની જોગવાઈની અસર નિશ્ચિત કરી શકાઈ નથી.

પ્રાઈવેટ સેક્ટરની બેન્કો એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્ક, એક્સિસ બેન્ક પણ AIFમાં રોકાણ ધરાવે છે. એસબીઆઈ પોતાની લોન અને ઈન્વેસ્ટમેન્ટના 1 ટકા જ્યારે બેન્ક ઓફ બરોડા 0.1 ટકા હિસ્સો AIFમાં ધરાવે છે. જો કે, બેન્કિંગ સેક્ટરનું AIFમાં એક્સપોઝર 10 ટકાથી નીચુ હોવાથી કોઈ ખાસ અસર થશે નહિં. જ્યારે NBFCનું એક્સપોઝર વધુ હોવાથી તેના પર જોખમો વધશે.

આરબીઆઈનું આ પગલું બેન્કો અને NBFC દ્વારા AIF (અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ)નો ઉપયોગ કરી પોતાની લોનની લાઈફ સાયકલ વધારી તેમજ કૃત્રિમ સ્થિરતા ઉભી કરી રહ્યા છે. જેમાં એવરગ્રીનિંગ મારફત પોતાની લોનના વાસ્તવિક સ્થિતિ પર આવરણ ચડાવી નવી ક્રેડિટ મેળવી જૂના દેવાને છૂપાવવામાં આવી રહ્યું છે.

ડાઉનસ્ટ્રીમ ઈન્વેસ્ટમેન્ટની તારીખથી 30 દિવસમાં AIF સ્કીમમાં પોતાના રોકાણો પાછા ખેંચવા નિર્દેશ કર્યો છે. જો નિયમ સમયગાળામાં પગલું નહીં લેવાય તો જોગવાઈઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, નિષ્ણાતો માને છે કે, આ નિર્દેશ અનુસાર, નિર્ધારિત સમયગાળામાં AIFsમાં રોકાણ પાછું ખેંચવું સરળ ન હોઈ શકે. કારણકે, તેનુ ટ્રેડિંગ કોઈ ચોક્કસ સેકેન્ડરી માર્કેટમાં થઈ રહ્યુ નથી. તાજેતરના નિર્દેશને કારણે આવનારા ક્વાર્ટરમાં પસંદગીની NBFCs માટે વધુ પડતી જોગવાઈનો સામનો અને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ થવાની સંભાવના છે.

IIFL સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ અને એડલવાઇસ જેવી NBFCs પાસે AIF રોકાણમાં વધુ હિસ્સો છે. પિરામલ પાસે AIFsમાં તેના કુલ રોકાણના 20.3 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં 67.3 ટકા અને એડલવાઈસ પાસે 11.4 ટકા છે.

એક એક્સચેન્જ ફાઇલિંગમાં, પિરામલ એન્ટરપ્રાઇઝિસે જણાવ્યું હતું કે તેણે AIFsમાં રૂ. 3,817 કરોડનું રોકાણ કર્યું છે, જેમાંથી માત્ર રૂ. 653 કરોડ એવા ભંડોળને લગતા છે કે જેમાં કોઈ દેવાદાર કંપનીઓનું કોઈ એક્સપોઝર નથી. તે બાકીની રકમને સમાયોજિત કરવા માંગે છે. IIFL પાસે AIFsમાં અનુક્રમે રૂ. 1,100 કરોડ (AUM ના 2 ટકા) રોકાણ છે.