વેદાંતા બ્લોક ડીલ: 2.2% ઇક્વિટી હિસ્સો રૂ. 2,255 કરોડમાં વેચાયો, GQG સંભવિત ખરીદનાર

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ વેદાંતા રિસોર્સિસના રૂ. 2255 કરોડના 8.2 કરોડ શેર વેચાયા હોવાની જાણ થઈ છે. વેદાંતાએ બ્લોક ડીલ મારફત પોતાનો 2.2 ટકા ઈક્વિટી હિસ્સો વેચાયો છે. જેના પગલે આજે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

મીડિયા અહેવાલમાં અગાઉ જાણવા મળ્યા હતા કે, પ્રમોટરો રાજીવ જૈનની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સને કંપનીમાં $1 અબજનો હિસ્સો વેચવા માગે છે. Vedanta Ltd.નો શેર આજે 2.85 ટકા ઘટાડે 271.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે, વેદાંતા લગભગ $6.4 અબજના બાકી દેવાનો સામનો કરી રહી છે. જેમાં નાણાકીય વર્ષ 2025 સુધીમાં 4.5 અબજ ડોલરની ચૂકવણીનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2023 સુધીમાં પ્રમોટર અને ગ્રુપ એન્ટિટીઓએ કુલ 63.71 ટકા હિસ્સો ધરાવ્યો હતો. છેલ્લા એક વર્ષમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર, GQG પાર્ટનર્સે અદાણી પોર્ટ્સ અને GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય ભારતીય કંપનીઓમાં હિસ્સો વધાર્યો છે.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, તુતીકોરિનમાં વેદાંતાની માલિકીના બંધ સ્ટરલાઇટ કોપર સ્મેલ્ટિંગ પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની શક્યતાનો અભ્યાસ કરવા માટે એક પેનલની રચના કરી શકે છે. વેદાંતા સ્ટરલાઇટની પેરેન્ટ કંપની છે. 2018માં, પ્લાન્ટના વિરોધમાં પોલીસ ગોળીબારને કારણે 13 લોકોના મોત થયા બાદ પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો હતો. Q3માં, અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની કંપનીએ કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 40.81 ટકા ઘટીને રૂ. 2,464 કરોડ નોંધ્યો હતો જ્યારે ત્રિમાસિક ગાળામાં આવક રૂ. 33,691 હતી.