અમદાવાદ, 13 ડિસેમ્બરઃ અદાણી ગ્રુપ આગામી વર્ષે મેચ્યોર થનાર $1.9 અબજના ફોરેન કરન્સી બોન્ડની ચૂકવણી કરવા યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રૂપ રોકડ ચૂકવણી અને નવા બોન્ડ વેચાણ દ્વારા પુનઃધિરાણના મિશ્રણ દ્વારા રિપેમેન્ટ કરવાની યોજનાઓ તૈયાર કરી રહ્યું છે.

જૂથે નિયમનકારી ફાઇલિંગ દ્વારા રોકાણકારોને જણાવ્યું હતું કે 2019માં વેચાયેલા અને આવતા વર્ષે સપ્ટેમ્બરમાં પરિપક્વ થતા અદાણી ગ્રીનના હોલ્ડિંગ કંપનીના $750 મિલિયનના બોન્ડની ચૂકવણી કરવા માટે રોકડ અને રોકડ સમકક્ષ લિક્વિડિટી પૂલ બનાવવા માટે કામ કરી રહ્યું છે. જૂથે જુલાઈ સુધીમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ (APSEZ)ના $650 મિલિયનના બોન્ડની રકમની રોકડ ચૂકવણી કરવા માટે પણ પ્રતિબદ્ધ છે, જેમાંથી તેણે આ વર્ષે $325 મિલિયનની રોકડ ચૂકવણી કરી દીધી છે.

જૂથે મે મહિનામાં પાકતી અદાણી ગ્રીનના $500 મિલિયન બોન્ડ ટ્રૅન્ચને રિફાઇનાન્સ કરવા માટે $410 મિલિયન એકત્ર કરવા માટે ધિરાણકર્તાઓ સાથે વાટાઘાટો શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જૂથે સંભવિત રોકાણકારો સાથે કેટલાક કિસ્સાઓમાં 20 વર્ષ સુધી લંબાતા લાંબા ગાળાના ભંડોળ એકત્ર કરવા માટે ચર્ચા શરૂ કરી છે. ચર્ચાથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “જૂથને લાગે છે કે ઇશ્યુ કરનારી કંપનીઓના મજબૂત પ્રદર્શનને કારણે છેલ્લા કેટલાક મહિનામાં ગ્રૂપમાં રોકાણકારોના વિશ્વાસમાં નોંધપાત્ર સુધારો થયો છે અને તેથી, બાકી રહેલા બોન્ડ્સનું પુનઃધિરાણ કરવામાં કોઈ સમસ્યા રહેશે નહીં.”

મંગળવારે, APSEZએ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના વેચાણ દ્વારા રૂ. 5,000 કરોડ અને નોન-ક્યુમ્યુલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ દ્વારા વધારાના રૂ. 250 કરોડ એકત્ર કરવાની યોજનાની જાહેરાત કરી હતી. કંપની સમગ્ર ભારતમાં 13 બંદરો અને ટર્મિનલ્સનું સંચાલન કરે છે, જેમાં ગુજરાતમાં સૌથી મોટા કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ, મુન્દ્રાનો સમાવેશ થાય છે. તે વર્તમાન દેવું પુનઃધિરાણ માટે એકત્ર કરાયેલા ભંડોળનો નોંધપાત્ર હિસ્સો ફાળવવાની યોજના ધરાવે છે.

10 ડિસેમ્બરના એક અહેવાલમાં, બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે તાજેતરની રેલીએ અદાણી જૂથના ડોલર બોન્ડના સેટમાં થયેલા નુકસાન દૂર કર્યા છે.