અમદાવાદ, 11 મેઃ ભારતના લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ક્ષેત્રે અગ્રેસર અદાણી લોજિસ્ટિક્સે ગુજરાતના વિરોચનનગર ખાતે આવેલા તેના ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) માં સેવાનું વિસ્તરણ કરીને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. આ વિસ્તરણ સાથે કંપની ખાસ તૈયાર કરેલા ‘ડોમેસ્ટિક ડ્વાર્ફ કન્ટેનર’ થકી માલસામાન પરિવહનને વધુ ઝડપી અને સરળ બનાવશે.

અદાણી લોજિસ્ટિક્સનું આ પગલું કાર્ગો પરિવહનને રોડથી રેલવે તરફ (‘રોડ-ટુ-રેલ’ શિફ્ટ) વાળવાના વ્યૂહાત્મક લક્ષ્યને વેગ આપશે. માર્ગ પરિવહનની સરખામણીમાં રેલવે મારફતે વધુ માલસામાન જવાથી ગ્રાહકોના એકંદર લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વળી ગ્રીન લોજિસ્ટિક્સ મોડલ મોટા પાયે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આધુનિક ડિઝાઇન ધરાવતા આ વિશિષ્ટ કન્ટેનર પરંપરાગત કન્ટેનરની તુલનામાં વધુ માલસામાન સમાવી શકે છે. ઉપરાંત સામાન્ય કન્ટેનર કરતાં જંગી પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો સૌથી મોટો ફાયદો ‘ડબલ-સ્ટેક’ ઓપરેશન છે. ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક્સ પર તેને એકની ઉપર એક ગોઠવીને સરળતાથી દોડાવી શકાય છે, જેથી રેલવેના એક જ ફેરામાં બમણો કાર્ગો મોકલી શકાય છે.

વિરોચનનગર ICD ખાતેની નવી સુવિધાઓ અને ડ્વાર્ફ કન્ટેનરના આગમનથી મુખ્ય ડોમેસ્ટિક રૂટ્સ પર માલસામાનની હેરફેર વધુ સુવ્યવસ્થિત બનશે. તેનાથી નેટવર્કની વિશ્વસનીયતા વધશે અને પરિવહન સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને એવા ઉદ્યોગો કે જેમને મોટા જથ્થામાં માલની હેરફેર કરવાની જરૂર હોય છે, તેમને આ સેવાથી વધુ સુગમતા અને ક્ષમતા પ્રાપ્ત થશે.

આ પહેલ ભારતમાં ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ લોજિસ્ટિક્સ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. અદાણી લોજિસ્ટિક્સ આ પ્રોજેક્ટ દ્વારા એક એવી ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે જે આર્થિક રીતે સધ્ધર હોવાની સાથે સાથે પર્યાવરણીય રીતે પણ જવાબદાર હોય. આ નવી પહેલથી FMCG, રસાયણો, મેટલ અને રિટેલ જેવા ઉદ્યોગોના ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટેશનમાં ક્રાંતિકારી બદલાવ આવશે. 

વિરોચનનગર ખાતેનું આ વિસ્તરણ અને નવી તકનીકો તેમની કાર્યક્ષમતા વધારવા અને દેશના લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)