વિશ્વ હાથી દિવસ: વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

વનતારા દ્વારા ઉગારવામાં આવેલી પ્રથમ માદા હાથી ‘ગૌરી‘થી શરૂ થયેલી આ પહેલ હવે હાથીઓના કલ્યાણમાં સુધારા, હાથીની દેખભાળ રાખનારા મહાવતોને સહયોગ આપવા, જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાથી સંરક્ષણના પ્રયાસોને આગળ ધપાવવાના એક વ્યાપક મિશનમાં પરિણમી ચૂકી છે.
જામનગર (ગુજરાત), 12મી ઓગસ્ટ 2026: અનંત અંબાણી દ્વારા સ્થપાયેલા વનતારાએ આજે ‘વિશ્વ હાથી દિવસ’ નિમિત્તે હાથી કલ્યાણ, સંરક્ષણ શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ ક્ષેત્રે ચાલી રહેલા પોતાના કાર્યોને ઉજાગર કર્યા છે, જે ભારત અને વિશ્વભરમાં હાથીઓના રક્ષણ અને કલ્યાણની વ્યવસ્થાને મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
260થી વધુ એશિયાઈ હાથીઓનું ઘર વનતારા, આજે હાથીઓના કલ્યાણ માટે વિશ્વના અગ્રણી કેન્દ્રોમાંનું એક બની ચૂક્યું છે. વનતારાની આ સફરમાં હાથીઓ એક વિશેષ સ્થાન ધરાવે છે અને તે ઉગારાયેલા પ્રાણીઓને વિશિષ્ટ સારસંભાળ અને ગરિમાપૂર્ણ જીવન પૂરું પાડવાની પોતાની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અનંત અંબાણી દ્વારા રેસ્ક્યૂ કરાયેલી પ્રથમ માદા હાથી ‘ગૌરી’થી એક સફરની શરૂઆત થઈ હતી, જે આજે વનતારા તરીકે એક વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે.
વનતારાના સ્થાપક અનંત અંબાણીએ જણાવ્યું હતું કે: “હાથીઓ હંમેશાં મારા હૃદયમાં અને વનતારાની સફરમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અમે જે પણ હાથીની સંભાળ રાખીએ છીએ તેની પોતાની એક અલગ કહાણી હોય છે, અને દરેક રેસ્ક્યૂ આપણને તેમના કલ્યાણ પ્રત્યેની આપણી જવાબદારીઓનો અહેસાસ કરાવે છે. ગૌરીના રેસ્ક્યૂથી શરૂ થયેલી આ પહેલ આજે હાથીઓના કલ્યાણમાં સુધારો કરવા, તેમની દેખભાળ રાખનારા લોકોને સહાયતા પૂરી પાડવા, ભાગીદારો સાથે જ્ઞાન અને અનુભવોના આદાન-પ્રદાન તેમજ ભારત તેમજ વિશ્વભરમાં હાથી સંરક્ષણમાં યોગદાન આપવાની વ્યાપક વચનબદ્ધતામાં તબદિલ થઈ ચૂકી છે. વિશ્વ હાથી દિવસ નિમિત્તે, અમે આ જાજરમાન પ્રાણીઓની ભવ્યતાની ઉજવણી કરીએ છીએ અને તેમના વધુ સારા ભવિષ્યને સુરક્ષિત કરવા સાથે મળીને કામ કરવાની અમારી કટિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ.”
હાથી ગામ, જયપુર ખાતે હાથી કલ્યાણ પ્રવૃત્તિઓને સુદ્રઢ બનાવવી
વિશ્વ હાથી દિવસના અવસરે, રાજસ્થાન સરકારના વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રી સંજય શર્માએ જયપુરના ‘હાથી ગામ’ ખાતે હાથીઓની સારસંભાળ અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે વનતારા સાથેના સહયોગની જાહેરાત કરી હતી. આ પહેલ હેઠળ એક અત્યાધુનિક ‘એલિફન્ટ ટ્રીટમેન્ટ એન્ડ કેર ફેસિલિટી’ની સ્થાપના કરાશે, જેમાં અદ્યતન હોસ્પિટલ, ન્યુટ્રિશન સેન્ટર અને હાઇડ્રોથેરાપી સુવિધા તેમજ વૃદ્ધ હાથીઓ માટે એક સમર્પિત ‘રિટાયરમેન્ટ એન્ડ કેર સેન્ટર’નો સમાવેશ થાય છે.
રાજસ્થાન વન વિભાગ અને વનતારાના અનુભવને એક તાંતણે જોડીને, આ સહયોગ થકી આ હાથીઓને તેમના જીવનના દરેક તબક્કે સહારો પૂરો પડાશે, જેથી તેમની વ્યક્તિગત જરૂરિયાતોને વધુ સારી રીતે સમજીને તેનો ઉકેલ લાવી શકાય અને હાથી ગામના હાથીઓ માટે વધુ ખુશહાલ, આરામદાયક અને કરુણાપૂર્વક ભવિષ્યનું નિર્માણ કરી શકાય.
રાષ્ટ્રીય હાથી કલ્યાણ વિસ્તાર કાર્યક્રમ
વનતારાએ તાજેતરમાં અસમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના 8 સ્થળો પર રાજ્ય વન વિભાગોના સહયોગથી એક વ્યાપક ‘એલિફન્ટ વેલફેર આઉટરીચ પ્રોગ્રામ’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
જમીની સ્તરે હાથીઓ સાથે કામ કરતી ટીમોના અનુભવ અને નિપૂણતાને સાથે જોડીને, આ કાર્યક્રમ 182 હાથીઓના સ્વાસ્થ્ય અને કલ્યાણને સુનિશ્ચિત કરવા જ્ઞાનના આદાન-પ્રદાન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે પર કેન્દ્રિત હતો, જેમાં 242 મહાવતોને પણ સાંકળવામાં આવ્યા હતા. આ સહયોગમાં રોગનિવારક પશુચિકિત્સા સારવાર અને હાથીઓના આરોગ્ય, માનવીય સંભાળ, પ્રાથમિક સારવાર તેમજ ‘મદમસ્ત’ (Musth) વ્યવસ્થાપન જેવા વિષયો પર વ્યવહારુ સત્રો સામેલ કરાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે વેટરનરી અને વેલફેર કિટ્સની સાથે પોષણક્ષમ આહાર પણ પૂરો પાડવામાં આવ્યો હતો.
આ ભાગીદારીઓ દ્વારા, વનતારાનો ઉદ્દેશ હાથીઓની સારસંભાળ રાખતા વ્યાવસાયિકો વચ્ચે સતત વિચાર-વિમર્શને પ્રોત્સાહન આપવાનો, શ્રેષ્ઠ પદ્ધતિઓનો પ્રચાર કરવાનો અને હાથીઓના કલ્યાણમાં સુધારો લાવવા માટે સહયોગી અભિગમને મજબૂત કરવાનો છે.
“માય ફ્રેન્ડ લીલાવતી”
વનતારાએ બાળકોમાં સહાનુભૂતિ અને કરુણાની ભાવના કેળવવા માટે “માય ફ્રેન્ડ લીલાવતી” નામના સોશિયલ મીડિયા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન ‘લીલાવતી’ નામના હાથીની વાર્તા પર આધારિત છે, જે નાનપણમાં જ તેની માતાથી અલગ થઈ ગઈ હતી. તેણે વર્ષો સર્કસમાં વિતાવ્યા હતા અને બાદમાં સર્કસના તંબુમાં આગ લાગવાથી ગંભીર રીતે દાઝી ગઈ હતી.
લીલાવતી હવે વનતારાના સૌથી લોકપ્રિય હાથીમાંની એક બની ગઈ છે, અને તેની વાર્તા બાળકોને એ સમજવામાં મદદ કરે છે કે દરેક હાથી દયા, કરુણાપૂર્વકની સારસંભાળ અને ગરિમાપૂર્ણ જીવનને હકદાર છે. આ અભિયાનના ભાગરૂપે, બાળકોને એક થીમ આધારિત પઝલ ઉકેલવા અને લીલાવતી માટે સંદેશો લખવા આમંત્રિત કરાયા છે. વિજેતા બાળકોને લીલાવતી ગિફ્ટ હેમ્પર અને વનતારાની મુલાકાત લેવાની, લીલાવતી તથા તેના મહાવતને મળવાની અને હાથીઓના રેસ્ક્યૂ તેમજ આજીવન દેખભાળ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાની તક સાંપડશે.
માનવ-હાથી સંઘર્ષ પર વૈશ્વિક કામગીરીને સમર્થન
માનવ-હાથી સંઘર્ષ નિવારવા અંગે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા, વનતારા ‘એલિફન્ટ પ્રોટેક્શન ઇનિશિયેટિવ (EPI) ફાઉન્ડેશન’ને ગ્રાન્ટ (આર્થિક અનુદાન) પૂરી પાડી રહ્યું છે. આ ગ્રાન્ટ થકી માર્ચ 2027માં બેંગકોક ખાતે યોજાનારી ‘ફર્સ્ટ ગ્લોબલ હ્યુમન-એલિફન્ટ કોન્ફ્લિક્ટ સમિટ’ અને ‘સેકન્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન-વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટ એન્ડ કોએક્ઝિસ્ટન્સ’માં એશિયાઈ અને આફ્રિકન હાથી ધરાવતા દેશોના નિષ્ણાતો, પ્રેક્ટિશનરો અને યુવા પ્રતિનિધિઓની ભાગીદારીને સમર્થન પ્રાપ્ત થશે.
આ ગ્રાન્ટની મદદથી તમામ 13 એશિયાઈ હાથી ક્ષેત્રીય દેશો, EPI ફાઉન્ડેશન સાથે કામ કરતા ઓછામાં ઓછા 5 આફ્રિકન હાથી ક્ષેત્રીય દેશોના પ્રતિનિધિઓ અને બંને પ્રદેશોના યુવા પ્રતિનિધિઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પડાશે. તેનાથી પ્રથમ વખત ભારતમાં ‘EPI યુથ એમ્બેસેડર્સ પ્રોગ્રામ’નું વિસ્તરણ પણ શક્ય બનશે, જેના પરિણામ સ્વરૂપે પ્રેક્ટિશનરો અને યુવા સંરક્ષણવાદીઓને તેમના અનુભવો જણાવવાની, આફ્રિકા અને એશિયાના વિવિધ અભિગમોમાંથી જરૂરી બોધપાઠ શીખવાની અને માનવ-હાથી સંઘર્ષ ઘટાડવા તથા સહઅસ્તિત્વ પર સહયોગ મજબૂત કરવાની તક મળશે.
જમીની સ્તરે, વનતારા માનવ-હાથી સંઘર્ષની સ્થિતિને પહોંચી વળવા, ઇજાગ્રસ્ત હાથીઓને તબીબી સહાયતા પૂરી પાડવા અને માનવી તેમજ હાથીઓ વચ્ચે લાંબાગાળાના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા રેપિડ-રિસ્પોન્સ વેટરનરી ટીમો, થર્મલ ડ્રોન સર્વેલન્સ અને સમુદાય સહભાગિતા કાર્યક્રમોને સતત કાર્યરત રાખે છે.
વનતારા વિશે:
વનતારા એ પ્રાણીઓના રેસ્ક્યૂ, સારવાર, કલ્યાણ અને આજીવન દેખભાળને આગળ ધપાવવા સમર્પિત એક વૈશ્વિક પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ સંસ્થા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સખાવતી સંસ્થા ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ દ્વારા સમર્થિત, વનતારા મોટાપાયે પ્રજાતિ-વિશિષ્ટ સારસંભાળ પૂરી પાડવા અદ્યતન વેટરનરી ઔષધિઓ, વૈજ્ઞાનિક જ્ઞાન, વિશિષ્ટ માળખાકીય સુવિધાઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની ટીમોને એકસાથે લાવે છે. તેની સુવિધાઓમાં વિશ્વની સૌથી મોટી સમર્પિત ‘એલિફન્ટ હોસ્પિટલ’ સહિત અદ્યતન મલ્ટી-સ્પેશિયાલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલોનો સમાવેશ થાય છે. પોતાની સુવિધાઓ ઉપરાંત, વનતારા જ્ઞાનનું આદાન-પ્રદાન કરવા, પુરાવા-આધારિત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને વિશ્વભરમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ માટે વધુ મજબૂત અભિગમમાં યોગદાન આપવા માટે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારો, સંરક્ષણ સંસ્થાઓ અને ભાગીદારો સાથે મળીને કામ કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
