• ડિજિટલ શોપિંગ અથવા પેમેન્ટ કરતા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે લેવાયો મહત્વનો નિર્ણય
  • ક્રેડિટ-ડેબિટ કાર્ડ સંબંધિત આ મહત્વપૂર્ણ નિયમો બદલાઈ રહ્યા છે30 સપ્ટેમ્બર પહેલાં થશે તેનો અમલ

નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટને કારણે છેતરપિંડીના મામલાઓ રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇડિયા (RBI) ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણીના નિયમોને વધુ કડક કરવા જઈ રહી છે. RBI 1 ઓક્ટોબરથી કાર્ડ ટોકનાઇઝેશન નિયમ લાગુ કરવા જઈ રહી છે. RBIએ ઓનલાઈન સર્વિસ કંપનીઓને ગ્રાહકોને કાર્ડ ટોકનાઇઝ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર, 2020માં 15 કરોડ લોકોએ ઓનલાઈન શોપિંગ દ્વારા પોતાની જરૂરિયાતનો સામાન ખરીદ્યો હતો. જ્યારે 2019માં આ સંખ્યા 13.5 કરોડ નોંધાઈ હતી. જેમાંથી સંખ્યાબંધ ઓનમલાઇ ફ્રોડ અંગેની ફરિયાદોનું પ્રમાણ જોવા મળ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને પણ ગ્રાહકો માટે ઓનલાઈન પેમેન્ટ સુવિધાને સરળ બનાવવાની સાથે તેમને છેતરપિંડીથી બચાવવા માટે કાર્ડ ટોકનાઈઝેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. RBIએ વ્યાપારી સંસ્થાઓ, ઈ-કોમર્સ વેબસાઇટ્સ, કરિયાણાની એપ્લિકેશન્સ, ફૂડ ડિલિવરી વેબસાઇટ્સ અને અન્ય એપ્લિકેશન્સ અથવા આવી સેવાઓ પ્રદાન કરતી વેબસાઇટ્સને તા. 30 સપ્ટેમ્બર સુધીમાં ટોકનાઇઝેશનની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. કાર્ડ ટોકનાઇઝેશનની પ્રક્રિયા હેઠળ, ગ્રાહકે વેબસાઇટ, વેપારી અથવા એપ પર ખરીદી કર્યા પછી દર વખતે કાર્ડની સંપૂર્ણ વિગતો ભરવાની જરૂર રહેશે નહિં. વિગતો ભરાઈ ગયા પછી, તે ડેટા સંબંધિત વેપારી, વેબસાઇટ અથવા એપ્લિકેશન પર સુરક્ષિત રહેશે. સંબંધિત વેપારી, વેબસાઇટ અથવા એપ્લિકેશનમાં, તમે આગલી વખતે જ્યારે ચુકવણી કરશો, ત્યારે વિગતો ભરવાને બદલે, તમને તમારા મોબાઇલ અથવા ઇમેઇલ પર એક ટોકન નંબર મળશે, જે ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરશે. આ તમને કાર્ડની વિગતો વારંવાર ભરવાથી બચાવશે.

ટોકનાઇઝેશનના લાભ

  • ટોકનાઇઝેશન સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વધુ સુરક્ષિત અને સુવિધાજનક બને છે
  • ટોકનાઇઝેશન ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટાને ચોરીથી પણ સુરક્ષિત કરે છે
  • ગ્રાહક કાર્ડની વિગતો વારંવાર દાખલ કરવાથી મુક્ત થશે
  • કાર્ડનો ડેટા છેતરપિંડીથી સુરક્ષિત રહેશે
  • ટોકન દરેક ઉપકરણ, વેપારી, ટોકન વિનંતી કરનાર અને કાર્ડ માટે બદલાઇ જશે