નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં વધીને રૂ. 9.78 લાખ કરોડ થઈ હતી, જે સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 58.9 ટકા છે, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ દ્વારા જારી આંકડાઓ અનુસાર, ગત નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં રાજકોષીય ખાધ 46.2 ટકા હતી. ચાલુ નાણાકીય વર્ષ માટે 16.61 લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધ અર્થાત જીડીપીના 6.4 ટકાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ માસમાં કુલ આવકો 14.64 લાખ કરોડ અર્થાત બજેટ લક્ષ્યાંકના 64.1 ટકા નોંધાઈ હતી. જે અગાઉના બજેટ અંદાજ કરતાં વધી 69.8 ટકા થઈ હતી. બીજી બાજુ કેન્દ્ર સરકારના ખર્ચ બજેટ અંદાજના 61.9 ટકા રહ્યો હતો. અર્થાત કેન્દ્ર સરકારે એપ્રિલથી નવેમ્બર દરમિયાન કુલ રૂ. 24.42 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. એપ્રિલ-નવેમ્બર માટે ચોખ્ખી કર આવક રૂ. 12.25 લાખ કરોડ હતી, જે બજેટ અંદાજના 63.3 ટકા હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 73.5 ટકા હતી. એપ્રિલ-નવેમ્બરમાં મૂડીખર્ચ રૂ. 4.47 લાખ કરોડ હતો, જે સમગ્ર વર્ષના લક્ષ્યાંકના 59.6 ટકા હતો. એક વર્ષ અગાઉના તુલનાત્મક સમયગાળામાં, તે બજેટ અંદાજના 49.4 ટકા હતો.

આ વર્ષે 28 હજાર કરોડનું ડિસઈન્વેસ્ટમેન્ટ

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે કુલ રૂ. 28,399 કરોડનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. જે વાર્ષિક લક્ષ્યાંકના માત્ર 44 ટકા છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 65 હજાર કરોડનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનો લક્ષ્યાંક મૂક્યો હતો. ડિસેમ્બરની શરૂઆતમાં નાણા મંત્રી સિતારમણે જણાવ્યું હતું કે, “વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ સ્પષ્ટપણે મને તે પ્રકારની અનુભૂતિ આપે છે કે અમે બજેટમાં નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવા સક્ષમ છે. કેપેક્સ પર સખત દબાણ ચાલુ રહી શકે છે. 2022-23 માટેના બજેટમાં, કેન્દ્રએ 7.5 લાખ કરોડ રૂપિયાનું વિક્રમી મૂડીરોકાણ લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો. જે બજેટ અંદાજ કરતાં 35 ટકા અને 2021-22ના સુધારેલા અંદાજ કરતાં 24 ટકા વધુ છે. નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં લગભગ 55 ટકા મૂડીરોકાણ હાંસલ કરવામાં આવ્યું છે. ભારત સરકાર 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય રાખે છે.