અમદાવાદ, 15 ઓક્ટોબરઃ અદાણી જૂથનો આગામી કચ્છ કોપર લિમિટેડ પ્રોજેક્ટ આવતા વર્ષથી ગુજરાતના મુંદ્રામાં કાર્યાન્વિત થઈ જશે. 1 મિલિયન ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતી ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી માર્ચ- 2024 થી શરૂ થશે. 

આ પ્રોજેક્ટ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. માર્ચ- 2024માં 500KTની ક્ષમતા સાથેનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. કોપર પ્લાન્ટમાં  સોના, ચાંદી, નિકલ અને સેલેનિયમ જેવી આડપેદાશો સહિત કોપર કેથોડ અને કોપર રોડનું પણ ઉત્પાદન કરવામાં આવશે. સંકલિત સંકુલ સલ્ફ્યુરિક એસિડનું પણ ઉત્પાદન કરશે.  જેનો ઉપયોગ ખાતર, ડિટર્જન્ટ, ફાર્માસ્યુટિકલ્સ, કાગળ, ખાંડના બ્લીચિંગ, વોટર ટ્રીટમેન્ટ અને અન્ય ઉદ્યોગોમાં પણ કરવામાં આવે છે. ભારતે 2070 સુધીમાં નેટઝીરો એમીશનનું લક્ષ્યાંક હાંસલ કરવાનું ધ્યેય રાખ્યું હોવાથી તાંબાની માંગમાં વધારો થવાની શક્યતા છે. જોકે દેશમાં તાંબાનો જથ્થો મર્યાદિત છે અને મોટે ભાગે આયાત પર નિર્ભર છે. તેવામાં ઉદ્યોગમાં સપ્લાય ચેઈન નિયંત્રણ સાથે કચ્છ કોપર લિમિટેડ દેશમાં મોખરાનો બિઝનેસ લઈને આવી રહ્યું છે. તે કોપરમાં મર્યાદિત સ્ત્રોતોની પરની નિર્ભરતા પણ ઘટાડી અડધો-અડધ માંગને પહોંચી વળવા સક્ષમ થશે.

સ્ટીલ અને એલ્યુમિનિયમ બાદ તાંબુ ત્રીજા સ્થાને આવે છે. ભારતમાં માથાદીઠ તાંબાનો વપરાશ માત્ર 0.6 કિગ્રા છે. તાજેતરમાં દેશમાં કોપરની નિકાસમાં થયેલા ઘટાડાને કચ્છ કોપર પુનઃજીવિત કરી શકે છે. કાર્બન કેપ્ચર માટે આધુનિક શૂન્ય લિક્વિડ ડિસ્ચાર્જ ટેક્નોલોજી અને સાધનો સાથે, ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરીમાં વૈશ્વિક બજારોને અપીલ કરવાની વિશાળ સંભાવના છે. 

અદાણી સિમેન્ટ્સ કોપર પ્લાન્ટની બાય-પ્રોડક્ટસનો ઉપયોગ કરી શકશે. તેઓ સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ ઉત્પાદન માટે કાચા મિશ્રણમાં સિલિકા અને હેમેટાઇટને બદલી શકે છે. વળી સોલાર મેન્યુફેક્ચરિંગમાં વપરાતી ચાંદીનો ઉપયોગ પણ તેમાંથી કરવામાં આવશે. અદાણી ગ્રૂપનો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ કચ્છ કોપરમાંથી તાંબુ અને ચાંદી જેવી આવશ્યક સામગ્રીનો પણ ઉપયોગ કરશે.