અમદાવાદ, 6 એપ્રિલઃ ગુજરાત જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટી વસૂલાતમાંથી રૂ. 2070 કરોડની આવક કરી છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19%નો વધારો જોવા મળ્યો છે.

FY19-20 અને FY20-21માં કોવિડ અને અન્ય વ્યાપક આર્થિક પરિબળોને કારણે વૃદ્ધિ જોવા મળી હતી. FY21ની આવક પાછલા વર્ષના રૂ. 1352 કરોડથી વધીને રૂ. 1,733 કરોડ થઈ હતી. FY21 અને FY22 દરમિયાન, CGMની રોયલ્ટી વસૂલતમાં લક્ષ્યાંક કરતાં ઘણી વધારે એટલે કે 28% વૃદ્ધિ જોવા મળી છે.

રોયલ્ટીની આવક ઐતિહાસિક ટોચે, રૂ. 2070 કરોડને પારઃ રૂપવંતસિંઘ

CGM એ તેના ઇતિહાસમાં સૌથી વધુ રોયલ્ટીની આવક રૂ. 2070 કરોડને પાર કરી છે. તે ગત વર્ષની સરખામણીમાં 19.44% વધારે છે. મુખ્ય ખનિજો ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચાઈના ક્લે, બિલ્ડીંગ સ્ટોન વગેરે જેવા ગૌણ ખનિજોનું યોગદાન સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં 70% છે. જીઓલોજી એન્ડ માઇન્સના આઉટગોઇંગ કમિશનર રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, આ રોયલ્ટી કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટેના વિવિધ પગલાં અમલમાં મૂકવાનું પરિણામ છે. જેમ કે સિંગલ વિન્ડો સિસ્ટમ, માઇનિંગ લીઝ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન, સર્વેલન્સ માટે ટેક્નોલોજી અપનાવવી વગેરે.

તેમણે વધુમાં જણાવ્યું કે ટકાઉ માઇનિંગ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવાનું રાજ્ય સરકારનું વિઝન વધુ માઇનિંગ લીઝને મંજુરી તરફ દોરી જાય છે. અમે ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમમાંથી શ્રેષ્ઠ માપદંડોના ઉપયોગથી સંચાલન કરી રહ્યા છીએ, ઇ-ઓક્શન રૂટ્સનો અમલ કરી રહ્યા છીએ જે નદીની રેતીના વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે પારદર્શિતા અને જવાબદારી લાવે છે.

જીઓ કેમિકલ મેપિંગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય

જીઓ કેમિકલ મેપિંગના ભાગરૂપે, રાજ્યમાં આવતા કુલ 236 ટોપોશીટ્સમાંથી 86 ટોપોશીટ્સ 54412 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. જે નમૂનાનાં વિશ્લેષણ અને મેપિંગ GSI ધોરણો મુજબ કરવામાં આવે છે. CGM રિપોર્ટ લખવા માટે અદ્યતન સિસ્ટમ્સ સર્ફર, નકશાની માહિતી અને જીઓસોફ્ટ મોન્ટાજ- જીઓકેમિસ્ટ્રી સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

ખાણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો

CGMએ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાણકામ ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોને આકર્ષ્યા છે. રાજ્યે નવા 12 લાઈમસ્ટોન અને બોક્સાઈટ મેજર મિનરલ બ્લોક્સ મૂક્યા છે જે રાજ્યમાં નવા ખાણકામ ઉદ્યોગોને આકર્ષિત કરશે. રાજ્યએ 365 ગૌણ ખનિજ બ્લોક્સ પણ મૂક્યા છે. તેનાથી સ્ટાર્ટ-અપ્સ માટે નવી તકો ઊભી થશે અને રાજ્યમાં નવી રોજગારીનું સર્જન કરશે. તે આગામી વર્ષોમાં રોયલ્ટીની આવકમાં વધારો કરશે.