અમદાવાદ, 3 મેઃ ગૌતમ અદાણી ગ્રૂપની ગતવર્ષે લિસ્ટેડ થયેલી અદાણી વિલમરે 31 માર્ચ, 2023ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો રૂ. 94 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 234.3 કરોડ હતો. આવકો 7 ટકા ઘટી 13873 કરોડ થઈ છે. જે Q4-22માં રૂ. 14917 કરોડ હતી. EBITDA પણ ગતવર્ષે રૂ. 426 કરોડની તુલનાએ 16 ટકા ઘટી 359 કરોડ થઈ છે. કંપનીએ આવકો અને નફામાં ઘટાડા પાછળનું કારણ એડિબલ ઓઈલના ભાવમાં ઘટાડો ગણાવ્યો છે. બીજી બાજુ અદાણી વિલમરે ફૂડ અને ઓલિયોકેમિકલ્સના બિઝનેસમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવ્યો છે. 2022-23માં 5 મિલિયન મેટ્રિક ટનના વેચાણો કર્યા છે. ફૂડ સેગમેન્ટમાં આવકો બે વર્ષમાં બમણી રૂ. 4 હજાર કરોડ થઈ છે.

વાર્ષિક નફો રૂ. 582 કરોડ, આવકો 7 ટકા ઘટી

નાણાકીય વર્ષ 2022-23માં કંપનીએ રૂ. 582 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે અગાઉ 2021-22માં રૂ. 804 કરોડ સામે 28 ટકા ઘટ્યો છે. જો કે, આવકો 7 ટકા વધી રૂ. 58185 કરોડ (રૂ. 54155 કરોડ) થઈ છે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, કંપનીએ આ વર્ષે મોટી સફળતા મેળવી છે અને તમામ ખાદ્ય ઉત્પાદનોની શ્રેણીઓમાં તેનો બજારહિસ્સો વિસ્તારી રહી છે.

અદાણી વિલમરના એમડી અને સીઈઓ અંગ્શુ મલિકે જણાવ્યું હતું કે, TRQ અસમાનતાને કારણે અમારા સોયાબીન તેલના માર્જિન પર દબાણ આવ્યું છે.  ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો અને ઈન્વેન્ટરીના ઊંચા ખર્ચના કારણે માર્જિન ઘટ્યા હતા.

કુલ નફાના સ્તરે પેકેજિંગ ખર્ચ પર ફુગાવાની અસર અને EBITDA સ્તરે લોજિસ્ટિક્સ, રસાયણો અને પાવર અને ઇંધણના ખર્ચમાં ફુગાવો કારણભૂત રહ્યા હતા. જો કે, ફૂડ સેગમેન્ટમાં કંપનીએ બમણો ગ્રોથ નોંધાવ્યો છે.