અમદાવાદ, 22 એપ્રિલઃ અખાત્રીજ એટલે વણજોયું મુહુર્ત એવી કહેવત છે. પરંતુ જે રીતે ભાવો આસમાને આંબી રહ્યા છે. તે સંજોગોમાં ગ્રાહકો, રોકાણકારો અને ટ્રેડર્સે આ વર્ષે અક્ષય તૃતિયાના દિવસે સોનાની ખરીદીમાં સાવ 50 ટકા જ રસ દાખવ્યો છે. તો કેટલાંક રોકાણકારોએ પેપર ગોલ્ડ ખરીદીને સંતોષ માની લીધો છે. કારણકે તેમાં રૂ. 500- 1000ની ખરીદીથી પણ સંતોષ માણી શકાય છે.

અક્ષય તૃતિયા નિમિત્તે સોના-ચાંદીના સિક્કા, ઘરેણાંની કોઈ ખાસ ખરીદી જોવા મળી ન હોવાનું વિવિધ જ્વેલર્સે જણાવ્યું છે. અમદાવાદના સોની બજારમાં અક્ષય તૃતિયા નિમિત્તે 50 ટકા પણ ઘરાકી જોવા ન મળી હોવાનું ચોક્સી મહાજનના હેમંત સથવારાએ જણાવ્યું હતું. જેની પાછળનું કારણ તોતિંગ ભાવ તેમજ રમજાન, પરશુરામ જયંતિની જાહેર રજા ગણાવી છે.

સોનુ હાજર બજારમાં આજે 10 ગ્રામ દીઠ રૂ. 100 વધી રૂ. 62100 નોંધાયુ હતું. જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 500 ઘટી રૂ. 74000 પર ક્વોટ થઈ રહી હતી. ગ્રાહકો અને રોકાણકારો હાલ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે. જેઓને આશાવાદ છે કે,સોના-ચાંદીના ભાવમાં હવે ઘટાડો આવી શકે છે. છેલ્લા આઠ દિવસમાં સોનુ તેની ઓલટાઈમ હાઈ રૂ. 63 હજારથી રૂ. 900 ઘટ્યું છે. જેમાં હજી 1000થી 1500નો ઘટાડો થવાની શક્યતા નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.

ગુજરાતમાં અગાઉના વર્ષે અખાત્રીજ નિમિત્તે સોના-ચાંદીના 225થી 250 કરોડના વેચાણ નોંધાયા હતા. જે આ વર્ષે ઘટી અડધા થયા છે. લોકો શુભ મુહૂર્તમાં ચાંદીના સિક્કા, પૂજાના વાસણોની ખરીદી કરતાં હોય છે. પરંતુ આ વખતે ચાંદીનો ભાવ વધુ હોવાથી હાલ પૂરતી ખરીદી ટાળતા નજરે ચડે છે.

આ વર્ષે સોનામાં 13 ટકાથી વધુ રિટર્નનો આશાવાદ

મોતિલાલ ઓસ્વાલે વૈશ્વિક પડકારો, વ્યાજદરમાં વધારામાં વિરામ જેવા પગલાંઓને ધ્યાનમાં લેતાં આ વર્ષે સોનાના ભાવમાં 12 ટકાથી વધુનો ઉછાળો નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે. ચાંદી વર્ષના અંત સુધી 85000થી વધવાનો આશાવાદ દર્શાવ્યો છે.