અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ અદાણી પાવર લિ.ના જણાવ્યાનુસાર તેને મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં આવેલી ધીરૌલી ખાણમાં કામકાજ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલય તરફથી મંજૂરી મળી છે. આ મહત્વપૂર્ણ વિકાસ અદાણી પાવરને કાચા માલની સુરક્ષામાં વધારો કરશે, જે ક્ષેત્રમાં તેની અગ્રણી સ્થિતિને મજબૂત બનાવશે.

અદાણી પાવરની પેટાકંપની મહાન એનર્જન લિ.ની માલિકીની ધીરૌલી ખાણ, વાર્ષિક મહત્તમ 6.5 MTની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, જેમાં વાર્ષિક પાંચ MT ઓપન કાસ્ટ માઇનિંગમાંથી અને બાકીના 1.5 MT ભૂગર્ભ કામગીરીમાંથી સમાવેશ થાય છે. ભૂસ્તરીય અહેવાલ મુજબ આ બ્લોકમાં 620 MMTની કુલ ભૂસ્તરશાસ્ત્રીય અનામત અને 558 MMT ની ચોખ્ખી ભૂસ્તરશાસ્ત્રીય અનામત છે.આ સમૃધ્ધ જથ્થો દાયકાઓનો પુરવઠો, બળતણ સુરક્ષા અને કાર્યકારી સ્થિરતા સુનિશ્ચિત કરે છે.

ખાણકામનું કામકાજ શરૂ કરવા માટે સરકારી મંજૂરી મળી છે એવી અદાણી પાવરની આ પ્રથમ કેપ્ટિવ ખાણની ઓપન કાસ્ટ પીક રેટેડ કેપેસિટી (PRC) નાણા વર્ષ-2027 માટે લક્ષ્યાંકિત છે, જેનું ભૂગર્ભ ખાણકામ નવ વર્ષ બાદ શરૂ થવાનું છે. આ બ્લોક માટે અદાણી પાવર 30 વર્ષની લીઝ ધરાવતી હોવાના કારણે લાંબા ગાળાની સાતત્યપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરે છે.

ધીરૌલી બ્લોક અદાણી પાવર મરચન્ટ પાવરની જરૂરિયાતોને પૂર્ણ કરશે  અને નજીકના 1,200 મેગાવોટના મહાન પાવર પ્લાન્ટને પણ વીજળી પૂરી પાડશે તેવી અપેક્ષા છે, જે હાલમાં 3,200 મેગાવોટના મહત્વાકાંક્ષી વિસ્તરણ હેઠળ છે.